એ વખતે ગાંધીજી સેવાગ્રામમાં રહેતા હતા.
એક અંગ્રેજ પત્રકારે એમની મુલાકાત માગેલી.
ગાંધીજીએ એને પાંચ મિનિટનો સમય આપેલો.
નક્કી કર્યા પ્રમાણે પત્રકારે ગાંધીજીની સેવાગ્રામની એ સાદી, સ્વચ્છ તથા સુંદર કુટિરમાં પ્રવેશ કર્યો.
પત્રકારે પ્રશ્ન પૂછ્યો, તમે માનો છો કે ભારતને સ્વતંત્રતાની પ્રાપ્તિ થઈ શકશે ?
'અવશ્ય,’ ગાંધીજીએ ઉત્તર આપ્યો : 'હું એવું અવશ્ય માનું છું. મને એમાં શંકા નથી.’
'તમારી માન્યતાનું કારણ ?’ પત્રકારે ફરી પૂછ્યું.
'કારણ ?’ ગાંધીજી કહેવા માંડ્યા, 'કારણ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. એ જો ન્યાયી ને દયાળુ હોય તો અમારી ઈચ્છા એણે પૂરી કરવી જ જોઈએ. અમારી માગણી ન્યાયી છે.’
પત્રકારે સંપૂર્ણ સંતોષ સાથે પ્રભાવિત થઈને કહ્યું : 'મારા દેશના અખબારમાં તમારા આ શબ્દો હું મોટા અક્ષરે છપાવીશ. અને લોકોને કહીશ કે સાચા ધાર્મિક તો તમે જ છો, અમે નથી.’
ગાંધીજી નિરુત્તર રહ્યા.
એટલામાં પાંચ મિનિટ પૂરી થઈ.
*
ભારતને આઝાદી મળી એટલે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીને સંદેશો મોકલવામાં આવ્યો કે તમારી પ્રતિજ્ઞા હવે પૂરી થઈ ગઈ છે માટે આશ્રમમાં પાછા આવો.
એ વખતે નોઆખલીમાં ફાટી નીકળેલી અશાંતિને લક્ષ્ય કરીને એ મહાન માનવતાપ્રેમીએ સંદેશાનો ઉત્તર આપ્યો કે સાબરમતી મારે મન દૂર છે, નોઆખલી નજીક છે.’
એમના વિના આવો ઉત્તર બીજું કોણ આપી શકે ?
અને દુઃખી મનુષ્યોના પોકાર સાંભળીને એમને મદદરૂપ થવા માટે એ નોઆખલી તરફ વિદાય થયા.
નિઃસ્વાર્થ સેવાની કેટલી બધી ઉદાત્ત ભાવના !
- શ્રી યોગેશ્વરજી

