if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ब्रह्मवादिनो वदन्ति ।
किं कारणं ब्रह्म कुतः स्म जाता जीवाम केन क्व च संप्रतिष्ठा ।
अधिष्ठिताः केन सुखेतरेषु वर्तामहे ब्रह्मविदो व्यवस्थाम् ॥१॥

brahmavadino vadanti ।
kim karanam brahma kutah sma jata
jivama kena kva cha sampratistha ।
adhisthitah kena sukhetaresu
vartamahe brahmavido vyavastham ॥1॥

આ સૃષ્ટિનું કારણ એવું બ્રહ્મતત્વ તે કોણ હશે ?
કોનાથી ઉત્પન્ન થયા ને કોનામાં સૌ લોક રહે ?
વળી વ્યવસ્થા કરનારો આ જગતતણી તે કોણ હશે ?
કોના નિયમ પ્રમાણે સુખ ને દુઃખનો સર્વે ભોગ કરે ?
આ સંપૂર્ણ જગતનો સ્વામી સંચાલક તે કોણ હશે ?
કરવા લાગ્યા જિજ્ઞાસુ બધા આવી ચર્ચા એકસમે. ॥૧॥

અર્થઃ

હરિઃ ૐ - પરમાત્મા
બ્રહ્મવાદિનઃ - બ્રહ્મવાદી પુરુષો
વદન્તિ - પરસ્પર કહે છે.
બ્રહ્મવિદઃ - હે વેદવેત્તા જ્ઞાનીગણ
કારણમ્ - જગતનું મુખ્ય કારણ
બ્રહ્મ - બ્રહ્મ
કિમ્ - કોણ છે.
કુતઃ - કોનાથી
જાતાઃ સ્મઃ - (આપણે) ઉત્પન્ન થયા છીએ.
કેન - કોને લીધે
જીવામ્ - જીવી રહ્યા છીએ.
ચ - અને
ક્વ - કોનામાં
સંપ્રતિષ્ઠાઃ - આપણી સ્થિતિ છે.
કેન અધિષ્ઠિતાઃ - કોને અધીન રહીને
(વયમ્ - આપણે)
સુખેતરેષુ - સુખ અને દુઃખને
વ્યવસ્થામ્ - નિશ્ચિત વ્યવસ્થાને અનુસરીને
વર્તામહે - ભોગવીએ છીએ.

ભાવાર્થઃ

આ ઉપનિષદનો આરંભ પરમાત્માના પવિત્ર નામસ્મરણથી કરવામાં આવ્યો છે. એથી એ આરંભ મંગલ થયો છે. પરમાત્માના નામસ્મરણ કે નામસંકીર્તન સાથે કરાયેલું કોઇપણ કામ પવિત્ર ને કલ્યાણકારક થાય છે. જે રીતે ઉપનિષદનો આરંભ થયો છે તે રીત પરથી લાગે છે કે પ્રાચીન ઔપનિષદિક કાળમાં વેદવેત્તા જિજ્ઞાસુ જ્ઞાની પુરુષો સમય સમય પર પરસ્પર ભેગા થઇને ગુણગ્રાહકવૃતિથી પ્રેરાઇને ચર્ચાવિચારણા કરતા રહેતા. એ પદ્ધતિ પ્રશસ્ય અને પ્રેરક હતી. એને લીધે જ્ઞાનની આદાનપ્રદાનની પ્રક્રિયા સરળ બનતી. ઉપયોગી ઠરતી. જ્ઞાન સીમિત રહેવાને બદલે વિસ્તૃત બનતું. સમકાલીન સ્વાનુભવસંપન્ન સત્પુરુષો અને જિજ્ઞાસુઓ એકમેકના સુખદ સંસર્ગમાં આવતા. એથી પારસ્પરિક પ્રેમ અને આદરભાવની અભિવૃદ્ધિ થતી. આ ઉપનિષદનો આરંભ એ સુંદર, સ્વસ્થ સર્વોપયોગી પરંપરાની સુખદ સ્મૃતિ કરાવે છે.

એના આરંભમાં જે વિવરણ છે એના પરથી કેનોપનિષદની પણ સ્મૃતિ થાય છે. કેનોપનિષદ પણ જ્ઞાનના આવા જ પરંતુ જરાક જુદા જાતના પ્રશ્નોથી પ્રારંભ પામીને આગળ વધે છે. એની પેઠે આ ઉપનિષદમાં પણ માનવની શુદ્ધતર નિર્ભેળ જિજ્ઞાસાવૃતિનું દર્શન થાય છે. માનવ પોતાના વિશે, જગત વિશે, અને જગતના કોઇ નિયંતા હોય તો એમના વિશે જાણવા માગે છે. આજે પણ એવી જિજ્ઞાસાવૃતિ જીવે છે, ભૂતકાળમાં પણ જીવતી હતી, અને ભવિષ્યકાળમાં પણ જીવતી રહેશે. ત્યાં સુધી જ્ઞાનની ચર્ચાવિચારણાઓ, સાધનાઓ અને અનૂભુતિની દિશામાં લઇ જનારી પ્રયોગ પંરપરા થતી જ રહેશે. અહીં પૂછવામાં આવેલી પ્રશ્નો પુરાતન હોવાં છતાં રોચક છે. આ વિશાળ વિશ્વના મૂળભૂત મુખ્ય કારણ બ્રહ્મ શું છે ? એનું સ્વરૂપ કેવું છે ? જગતની અને આપણી ઉત્પત્તિ શેનાથી થઇ છે ? જગતને અને આપણને જીવન પ્રદાન કરનારી, પોષનારી, ટકાવનારી કોઇ સનાતન સર્વોપરી શક્તિ છે ખરી ? જગતમાં સુખદુઃખની સંમિશ્રિત અસરોને ઉપજાવનારી કર્મની પંરપરાનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરનાર કોઇ છે ખરું, કે પછી જુદાં જુદાં કર્મો પોતાની મેળે જ સુખદુઃખની વિરોધાભાસી અસરો પેદા કરે છે ? આ જગત કોઇ ચોક્કસ કર્મનિયમોને અનુસરીને ચાલે છે કે કોઇપણ પ્રકારના નિયમો વિના જ, જેમ ફાવે તેમ પ્રવૃતિ કરે છે ? એનું નામ શુદ્ધતર આત્મજિજ્ઞાસા અને બ્રહ્મજિજ્ઞાસા. આધ્યાત્મિકતાને એની સાથે અત્યંત સમીપનો સંબંધ. એવી જિજ્ઞાસા આધ્યાત્મિકતાનું મૂલ્યવાન મસ્તિષ્ક છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.