Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युजे वां ब्रह्म पूर्व्यं नमोभिर्विश्लोक एतु पथ्येव सूरेः ।
शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः ॥५॥

yuje vam brahma purvyam namobhirvisloka
etu pathyeva sureh ।
srnvantu visve amrtasya putra a ye
dhamani divyani tasthuh ॥ 5॥

હે મનબુદ્ધિ, બ્રહ્મ સર્વના આદિ, તમારા સ્વામી છે,
તે પ્રભુને હું નમું, નમું, ને તેને શરણે આજ જઊં;
વિદ્વાનતણો યશ ફેલાયે, તેમ સ્તવન આ ફેલાયે,
સમસ્ત જગમાં; સુણો સ્તવન આ દિવ્યલોકમાં વાસે તે. ॥૫॥

અર્થઃ

(હે મન તથા બુદ્ધિ ! હું)
વામ્ - તમારા બંનેના સ્વામી
પૂર્વ્યમ્ - સૌના આદિ
બ્રહ્મ - પરબ્રહ્મ પરમાત્મા સાથે
મનોભિઃ - વારંવારના નમસ્કાર દ્વારા
યુજે - જોડાઉં છું.
શ્ર્લોકઃ - મારી આ સ્તુતિ
સૂરેઃ - શ્રેષ્ઠ વિદ્વાનની
પથ્યા ઇવ - કીર્તિની જેમ
વ્યેતુ (વિ - એતુ) - સર્વત્ર ફેલાઇ જાય. (અને એને)
અમૃતસ્ય - અવિનાશી પરમાત્માના
વિશ્વે - સઘળા
પુત્રાઃ - પુત્રો
યે - જે
દિવ્યાનિ - દિવ્ય
ધામાનિ - લોકોમાં
આતસ્થુઃ - રહે છે. (તેઓ)
શ્રુણ્વન્તુ - સાંભળે.

ભાવાર્થઃ

આ શ્લોકમાં ઋષિ પોતાના મનને ને પોતાની બુદ્ધિને જણાવે છે કે તમારાથી જે સર્વોપરી અને અધિક શક્તિશાળી છે તે પરમાત્માને પ્રેમપૂર્વક પૂજ્યભાવે પ્રણામ કરીને, અનેકાનેક પ્રણામ કરીને હું એમની સાથે અભિન્ન અંતરંગ આત્મિક સંબંઘ બાંધું છું. એમના અનુસંધાનનો અલૌકિક આનંદ અનુભવું છે. પરમાત્માની મારા દ્વારા કરાયેલી પ્રેમપૂર્ણ પ્રશસ્તિ સંસારમાં સર્વત્ર ફેલાઇ જાય - કોઇ લોકોત્તર સત્પુરુષની કીર્તિની પેઠે. એને આ પાર્થિવ પૃથ્વી પર અને બીજા દિવ્ય લોકોમાં વસતા પરમાત્માના પુત્રો સાંભળે. એ શ્રવણ એમને માટે સુખકારક, શાંતિપ્રદાયક, પ્રેરક થઇ પડશે. એનો લાભ લઇને એ પણ પરમાત્માભિમુખ બનશે, અને એમની પ્રસન્નતા માટે એવી જ પ્રશસ્તિ કરવા પ્રેરાશે. એથી વિશ્વનું વાયુમંડળ વધારે વિશુદ્ધ બનશે.

અહીં માનવો તથા અન્ય આત્માઓને માટે અમૃતમય પરમાત્માના પુત્રો (અમૃતસ્ય પુત્રો) શબ્દપ્રયોગ કર્યો છે તે ખૂબ જ સુંદર, સરસ, સૂચક અને સારગર્ભિત છે. તે દર્શાવે છે કે માનવ મૃત્યુનો પુત્ર નથી, અમૃતનો પુત્ર છે. મરણધર્મી નથી, અમર છે. પરમાત્માનો પ્રતિનિધિ છે. એવી રીતે ગૌરવપૂર્વક જવાબદારીને જાણીને જીવે એ આવશ્યક છે. એની શક્તિ અનંત છે. એને એ ઓળખે અને પ્રકટ કરે તો જીવમાંથી શિવ, પુરુષમાંથી પુરુષોત્તમ, નરમાંથી નારાયણ બની શકે છે.