Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

त्रिरुन्नतं स्थाप्य समं शरीरं हृदीन्द्रियाणि मनसा सन्निवेश्य ।
ब्रह्मोडुपेन प्रतरेत विद्वान् स्रोतांसि सर्वाणि भयानकानि ॥८॥

trirunnatam sthapya samam sariram
hrdindriyani manasa sannivesya ।
brahmodupena pratareta vidvan
srotamsi sarvani bhayanakani ॥ 8॥

ગ્રીવા સ્થિર ને છાતી સાથે શરીરને સ્થિર રાખી લે,
ઈન્દ્રિય ને મન દ્વારા હૃદયે ધીરેધીરે સ્થાપી લે;
ૐકાર તણા જપથી નૌકા, તેમાં પ્રેમે બેસી લે,
ભયંકર પ્રવાહો સૌ મનના તે નૌકા પાર કરી દે. ॥૮॥

અર્થઃ

વિદ્વાન્ - વિદ્વાન
ત્રિરુન્નતમ્ - છાતી, ગરદન અને મસ્તક - ત્રણે સ્થળેથી આગળ ઉપસેલા
શરીરમ્ - શરીરને
સમમ્ - સીધું
સ્થાપ્ય - સ્થિર રાખીને
ઇન્દ્રિયાણિ - ઇન્દ્રિયોને
મનસા - મનની મદદથી
હૃદિ - હૃદયમાં
સંનિવેશ્ય - નિયંત્રિત કરીને
બ્રહ્મોડુપેન - પરમાત્માના સ્મરણમનનની નૌકા દ્વારા
સર્વાણિ - સંપૂર્ણ
ભયાવહાનિ - ભયંકર
સ્ત્રોતાંસિ - પ્રવાહોને
પ્રતરેત - તરી જાય.

ભાવાર્થઃ


ઘ્યાનયોગની સાધના કરનાર સદબુદ્ધિ સંપન્ન સાધકે આસન પર બેસીને શરીરને સીધું અથવા સ્થિર રાખવું. આસન પર બેસીને શરીરને ઢીલું કરવું નહીં. છાતી, ગરદન અને મસ્તકને સીધાં કે સમાંતર રાખવા. એ પછી બહારના વિષયોમાં વિહરનારી બહિર્મુખ ઇન્દ્રિયોને મનની મદદથી અંતર્મુખ કરવી, મનને પણ અંતર્મુખ કરવું. એવી રીતે બહારના અને અંદરના સાધારણ કે અસાધારણ વાસના, વિકારો, વિક્ષેપો કે વિઘ્નો પાર વિનાના પ્રવાહોને પાર કરવા. એ માટે ઓમકારના કે પરમાત્માના બીજા કોઇક મંત્રજપની મદદ લેવાનું જરૂરી જણાય તો તેવી મદદ લેવી.