लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादः स्वरसौष्ठवं च ।
गन्धः शुभो मूत्रपुरीषमल्पं योगप्रवृत्तिं प्रथमां वदन्ति ॥१३॥
laghutvam arogyam alolupatvam
varnaprasadah svarasausthavam cha ।
gandhah subho mutrapurisamalpam
yogapravrttim prathamam vadanti ॥ 13॥
શરીર હલકું બની જાય છે, રોગ રહે કોઈયે ના,
વિષયલાલસા રહે નહીં, ને દેહ બને છે ઉજ્જવલ આ;
મધુર બને છે વાણી તેની, સુવાસ અંગે આવે છે,
મલ ને મૂત્ર બને છે ઓછાં, પ્રારંભિક સિદ્ધિ તે છે. ॥૧૩॥
અર્થઃ
લઘુત્વમ્ - શરીરનું હલકાપણું
આરોગ્યમ્ - આરોગ્ય
અલોલુપત્વમ્ - ઇન્દ્રિયોના વિષયની અલોલુપતા
વર્ણપ્રસાદમ્ - શરીરના વર્ણની ઉજ્જવળતા અથવા કાંતિ
સ્વરસૌષ્ઠવમ્ - સ્વરની મધુરતા
શુભઃ ગંધઃ - શરીરની સુવાસ
ચ - અને
મૂત્રપૂરીષમ્ - મળ તથા મૂત્ર
અલ્પમ્ - અલ્પ (એ સૌને)
પ્રથમામ્ યોગપ્રવૃતિમ્ - યોગની પ્રથમ સિદ્ધિ
વદન્તિ - કહેવામાં આવે છે.
ભાવાર્થઃ
પંચમહાભૂતોનો સંયમ સાધનારા યોગીને યોગસાધનાના આરંભમાં અભ્યાસ દૃઢ બનતાં કેટલીક બીજી વિશિષ્ટ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. એના શરીરની સ્થૂળતા ઉત્તરોત્તર ઓછી થતાં એનું શરીર હલકું ફૂલ જેવું લાગવા માંડે છે. શરીર સંપૂર્ણ સ્વસ્થ અને રોગરહિત બને છે, ઉજ્જવળતા અથવા કાંતિને ધારણ કરે છે, એક પ્રકારના અસાધારણ અદમ્ય આકર્ષણ અને અલૌકિક નૂરથી સંપન્ન થાય છે, અને એમાંથી દિવ્ય ગંધ આવવા લાગે છે. એનો સ્વર મધુરો બને છે. એ બોલે છે ત્યારે શ્રોતાઓને અનેરા અમૃતાસ્વાદનો અનુભવ થાય છે. મધ ટપકતું હોય એવું લાગે છે. એનાં મળમૂત્ર પણ ઓછાં થાય છે. એનો અર્થ એવો નથી કે એને કબજિયાત થઇ જાય છે. એનો આહાર પ્રમાણમાં એકદમ ઓછો થઇ જવાથી મળમૂત્રની માત્રા પણ ઓછી થાય છે. એ ઉપરાંત એક બીજી મહત્વની વાત એ છે કે એ ઇન્દ્રિયોના વિષયો, રસો અને આકર્ષણોમાંથી સદાને માટે મુક્તિ મેળવે છે. સંસારના બાહ્ય વિષયોની મોહિની અથવા લોલુપતા એને સહેજ પણ નથી સતાવતી. એનું મન એટલું બધું નિર્મળ, દિવ્ય, ઇશ્વરમય અને વિકારરહિત બની જાય છે.

