Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

आरभ्य कर्माणि गुणान्वितानि भावांश्च सर्वान् विनियोजयेद्यः ।
तेषामभावे कृतकर्मनाशः कर्मक्षये याति स तत्त्वतोऽन्यः ॥४॥

arabhya karmani gunanvitani
bhavamscha sarvan viniyojayedyah ।
tesamabhave krtakarmanasah
karmaksaye yati sa tattvato'nyah ॥ 4॥

ત્રણે ગુણોના સર્વ કર્મનો જે સાધક આરંભ કરે,
પછી અહંતા મમતા સાથે તેને પ્રભુને ચરણ ધરે,
તેને કર્મતણું ના રે’, પૂર્વ કર્મ પણ નષ્ટ બને,
તે તો પ્રભુને પામે; જડ સૌ તત્વ જીવથી ભિન્ન જ છે. ॥૪॥

અર્થઃ

યઃ - જે
ગુણાન્વિતાનિ - સત્વાદિ ગુણોવાળાં
કર્માણિ - કર્મોને
આરભ્ય - આરંભીને (એમને)
ચ - અને
સર્વાન્ - સર્વે
ભાવાન્ - ભાવોને
વિનિયોજયેત્ - પરમાત્મા સાથે જોડી કે પરમાત્માને સમર્પી દે છે.
(એના એવા અભ્યાસથી) તેષામ્ - તે કર્મોનો
અભાવે - અભાવ થવાથી
(એના) કૃતકર્મનાશઃ - પૂર્વસંચિત કર્મસમૂહનો નાશ થાય છે.
કર્મક્ષયે - એવા કર્મક્ષયથી
સઃ - તે પુરુષ
યાતિ - પરમાત્માને પામી લે છે. (કારણ કે એ જીવાત્મા)
તત્વતઃ - વાસ્તવિક રીતે વિચારતાં
અન્યઃ - જડસમુદાય કરતાં જુદો જ, ચેતન છે.

ભાવાર્થઃ

જે માનવ પોતાને ફાળે આવેલા કર્તવ્યોનું અનુષ્ઠાન કરે છે અને જીવનની ઉત્તરોત્તર શુદ્ધિ સધાતાં એ કર્તવ્યોનો તથા એમની પાછળના શુભાશુભ સંકલ્પો કે ભાવોનો સંબંધ પરમાત્માની સાથે બાંધીને એમને પરમાત્માને અર્પણ કરે છે, તેના સંચિત કર્મસમૂહનો ક્રમેક્રમે નાશ થાય છે, અને એ કર્મ તથા એના ફળની વિવિધ વાસના તથા અહંતા-મમતાદિમાંથી મુક્તિને મેળવીને પરમાત્માને મેળવી લે છે. જીવાત્મા જડ પ્રકૃતિથી જુદો અને ચેતન હોવાથી, પરમ ચેતનને પામીને ધન્ય બને છે. પ્રકૃતિના સ્થૂળ સંબંધોથી ઉપર ઉઠીને પરમાત્માનો સૂક્ષ્મ સંબંધ સ્થાપવાથી અને વધારવાથી બધું જ શક્ય બને છે.