न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥१४॥
na tatra suryo bhati na chandratarakam
nema vidyuto bhanti kuto'yamagnih ।
tameva bhantamanubhati sarvam
tasya bhasa sarvamidam vibhati ॥ 14॥
સૂર્ય પ્રકાશે ના ત્યાં, તારાચંદ્ર પ્રકાશી ના જ શકે,
ચપલા ના ચમકે, કેમ કરી અગ્નિ તો આવી જ શકે ?
એના પ્રકાશથી જ જગતના સર્વ પદાર્થ પ્રકાશે છે,
એ પ્રકાશ દે છે ત્યારે આ સારું જગત પ્રકાશે છે. ॥૧૪॥
અર્થઃ
તત્ર - ત્યાં
સૂર્યઃ - સૂર્ય
ન ભાતિ - પ્રકાશતો નથી.
ન ચંદ્રતારકમ્ - ચંદ્ર તથા તારાઓ પણ નથી પ્રકાશતા.
ઇમાઃ - આ
વિદ્યુતઃ - વીજળી પણ
ન ભાન્તિ - નથી પ્રકાશતી
અયમ્ - આ
અગ્નિઃ - અગ્નિ
કુતઃ - કેવી રીતે પ્રકાશી શકે ?
તમ્ ભાન્તમ્ ઇવ - એમના પ્રકાશિત થવાથી
સર્વમ્ - એ સૌ અને બીજું બધું
અનુભાતિ - એમને લીધે જ પ્રકાશિત થાય છે.
તસ્ય - એમના
ભાસા - પ્રકાશથી
ઇદમ્ સર્વમ્ - આ બધું
વિભાતિ - પ્રકાશે છે.
ભાવાર્થઃ
પરમાત્માને પ્રકાશ પહોંચાડવાની શક્તિ કોનામાં છે ? કોઇની અંદર નથી. જગત આખું જ જ્યારે પરમાત્માના પ્રકાશથી પ્રકાશે છે ત્યારે એમને કેવી રીતે કોઇ પ્રકાશ આપી શકે ? એમની પાસે સૂર્ય નથી પ્રકાશતો, ચંદ્ર અને તારાગણો નથી પ્રકાશતા, અગ્નિ અને વીજળીનો પ્રકાશ પણ ત્યાં નથી પહોંચતો. એમના પરમ પ્રકાશનાં કતિપય કિરણોથી જ બ્રહ્માંડ પ્રકાશે છે. એમના પરમ પ્રકાશની પ્રાપ્તિ થતી ના હોય તો આ અખિલ જગત અંધકારમાં અટવાઇ જાય.