સુખના સમયમાં મિત્રો મારી આજુબાજુ ટોળે વળે છે. દુઃખના દિવસોમાં તેમનામાંના કોઈક વિરલ જ ઊભા રહે છે.
સંપત્તિના સમયમાં પ્રશંસકો પૂજારી બનીને મારી પ્રશસ્તિ કરે છે, મારા પોતાના જ હોય એવો દેખાવ કરે છે. વિપત્તિના વખતમાં એમનામાંના મોટા ભાગનો દેખાવ પોકળ કે મિથ્યા ઠરે છે.
સ્વાર્થની સિદ્ધિ સારુ, સ્વાર્થ ઘવાતો ના હોય ત્યાં સુધી, સ્નેહીજનો મારી આસપાસ મધમાખીની પેઠે ફરી વળે છે. સ્વાર્થ પૂરો થતાં ને સ્વાર્થની કસોટી થતાં, લગભગ બધાંજ મને છેલ્લી સલામ કરીને ચાલી નીકળે છે.
પરંતુ મને એથી નુકસાન નથી થતું. દુઃખ, વિપત્તિ, પ્રતિકૂળતા તેમની કસોટી કરે છે; મને વધારે ને વધારે સાવચેત ને શુદ્ધ કરી સદ્ બુદ્ધિ ધરે છે.
(૧૫-૫-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

