મારા નાના ને મોટા બધી જાતના અહંકારનો અંત આણો, મારો રહ્યોસહ્યો ઘમંડ ને દંભ દૂર કરો, તમારા મંગલ મહિમાવંતા મુખ આગળ મારું મસ્તક નેહ ને નમ્રતાથી, માર્દવ ને મધુતાથી મંડિત થઈને નમી રહો: એજ મારી પ્રાર્થના છે.
આ અવનીમાં હું કદી એકલતાનો અનુભવ ના કરું : મને એમ ના લાગે કે હું એકલો છું. તમારા સનાતન, સુધાસભર, સાન્નિધ્યનો સ્વાદ લેતાં, સાથીદારો ને સ્નેહીજનો છોડી જાય તોપણ, હિંમતપૂર્વક અભય સાથે આગળ વધું, તમારી ઈચ્છાનુસાર ડગલાં ભરું; એ જ મારી પ્રાર્થના છે.
મારી બધી જાતની જડતાને જલાવી દો : મારી રહીસહી નબળાઈ ને કાયરતાને ફગાવી દો : ઉપર ને નીચે, અંદર ને બહારથી, મારો ઘાટ તમને ગમે ને તમારું હૈયું ઠરે એવો ઘડી દો; એજ મારી પ્રાર્થના છે.
(૧-૬-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

