નવમા વરસે લીલા સંકેલીને જતાં રહ્યા
પિતાજી તોય લાગેલી એમની એટલી નહીં
ખોટ કે નવ વ્યાપેલી વેદના જિંદગીમહીં.
કોઇ યાદ કરે ત્યારે એમની યાદ આવતી.
અમે એવી કાળતણાં ગેબી પ્રવાહે વહેતાં જતાં
કૌમાર્યકાળમાં જીવે પરતંત્ર બની બધાં
મહાપ્રયાણ કિન્તુ આ તમારું યાદ આવતું,
અહર્નિશ ઉરે મારા અનોખી ઉર્મિ લાવતું,
સંવેદનસ્વરો પ્રાણે પ્રેમપૂર્ણ જગાવતું;
ભર્યુંભર્યું બધું જાણે ખાલી કે શૂન્ય લાગતું
નથી શોક નથી ચિંતા ક્લેશ કે વ્યગ્રતા જરી
પ્રજ્ઞાની પાવની જ્યોતિ રહી શ્રેયસ્કરી જલી,
ખિન્નતાને નથી એથી સ્થાન નૈરાશ્યને વળી,
છતાંય કરુણાકેરી તંત્રી કોઇ બજી રહી
લાગણી આટલી જાગે મારા નિર્લિપ્ત પ્રાણમાં
લિપ્ત પ્રાણતણી ત્યારે હશે કેવી થતી દશા ?
- શ્રી યોગેશ્વરજી

