ગુરુજીના શરણમાં શાંતિ મળી, (2)
ગુરુના ચરણે ગંગાયમુના; (2)
સ્નાન કરીને ભ્રાન્તિ ટળી...ગુરુજીના...
ગુરુના ચરણે અડસઠ તીરથ; (2)
દર્શનથી કૃતકૃત્ય બની...ગુરુજીના...
ગુરુના ચરણે સઘળાં શાસ્ત્રો; (2)
વેદપુરાણની ઝાંખી મળી...ગુરુજીના...
ગુરુમાં બ્રહ્મા, ગુરુમાં વિષ્ણુ; (2)
શિવ અને શક્તિ સ્વરૂપ મહીં...ગુરુજીના...
ગુરુકૃપાની અમૃતધારા; (2)
પામીને જીવનમુક્તિ મળી...ગુરુજીના...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાચા સદગુરુનાં શ્રીચરણે વિશ્વનું સમસ્ત ઐશ્વર્ય મળી જાય છે. પૂર્ણ શ્રદ્ધાભક્તિથી શરણ લેનારા શિષ્યને પરમશાંતિ શ્રીગુરુનાં શ્રીચરણે જ મળી જાય છે. પછી બીજા કોઈનોય આશ્રય લેવાની જરૂર જ ક્યાં છે ? અરે, ગંગાસ્નાન માટે તીર્થોમાં પણ જવાની જરૂર નથી રહેતી. ગુરુની જ્ઞાન ગંગામાં સાધક સ્નાન કરીને મનની બધી જ શંકાઓ, ભ્રમણાઓને દૂર કરી શકે છે.
સર્વતીર્થ દર્શન શ્રીગુરુના દર્શનમાં જ સમાઈ જાય છે. વેદપુરાણ, ઉપનિષદો પણ વાંચવાની જરૂર રહેતી નથી. સર્વશાસ્ત્રોનો સાર સદગુરુના ઉપદેશમાં મળી જાય છે. સાચા સદગુરુનું જીવન જ સાચું શાસ્ત્ર છે.
સર્વદેવોનું દર્શન પણ ગુરુદર્શનમાં થઈ જાય છે. સાધકને માટે સદગુરુ તો સદવિચારોના સર્જક બ્રહ્મા જ છે. સાધકના મન-અંતરમાં જાગેલા સદવિચારોનું પોષણ સદગુરુ વિષ્ણુ બનીને કરે છે. સદગુરુ શિવ બનીને કુવિચારોની ગંદકી દૂર કરીને પરમમંગલમય સૃષ્ટિનું સર્જન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સ્વયં સદગુરુ જ છે. પરમજ્ઞાની, આત્મસાક્ષાત્કારી સદગુરુની કૃપાવર્ષામાં સ્નાન કરીને સાધક જીવનમુક્ત બની જાય છે. શ્રી ગુરુનાં શ્રીચરણે શું જોવા મળ્યું તેનું વર્ણન આ પદમાં થયું છે.

