ચંદ્રમાને કે’જો કે મારે ઘેર આવે.
સાથે પેલા તારલિયાને લાવે.
ચંદ્રમાને કે’જો કે મારે ઘેર આવે.
વાતો કરીએ જરી મીઠી મજાની,
દિલ ના ખોલીએ તો દોસ્તી એ શાની ?
રૂપરંગ એનાં મને બહુ ભાવે … ચંદ્રમાને કે’જો.
અમૃતનું પાન કરી એનું રહેવું,
આનંદ ઝરણામાં ઊંડા વહેવું,
એય પછી આનંદે જેમ એને ફાવે … ચંદ્રમાને કે’જો.
આંગણિયું અજવાળી કેવું રહેશે ?
અંધારૂ ટકશે પછી નહીં લેશે;
સત્કારું એને હું ખૂબ ખૂબ ભાવે … ચંદ્રમાને કે’જો.
- શ્રી યોગેશ્વરજી

