Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ફૂંકાયા શંખ ને વાગ્યાં રણશીંગાં અસંખ્ય ત્યાં
કોલાહલ કરી યુદ્ધે પ્રેરવા માનવીનો
વ્યાપ્યો ભય તદા કલૈબ્યે ભરેલાં અંતરો મહીં
ચિંતાતણી ચિતા જાગી કારમી પ્રલયંકરી

અનેકવિધ આશંકાઓનાં અભ્રો અશાંતિના
આટાપાટા રમી પામ્યાં આવિર્ભાવ સ્થળે,
કિન્તુ અંતર યોદ્ધાનાં શૌર્યે થનગની રહ્યાં
કરવા શત્રુનો ધ્વંસ વરવા જયને વળી.

સત્યનો ન્યાય-નેકીનો જય છે સર્વદા જગે
વરે છે વિજયશ્રી તે શ્રદ્ધા છે જેમની રગે,
સાફલ્ય સાંપડે શૌર્ય ધર્મને, ના અધર્મને,
સૈનિકો શાસ્વતી શ્રદ્ધા સજીને અંતરાત્મમાં

એવી ધપો બઢો યુદ્ધે કિલષ્ટ કર્તવ્યમાર્ગમાં
દેવી વિજયની જેથી રહી જાય અનાથ ના.

- શ્રી યોગેશ્વરજી