કોઇ નૃપને તો કોઇ નેતાને
કોઇ લક્ષ્મીનંદનને જેતાને,
કોઇ શાસકને સત્તાધીશને
રૂપયૌવનને પાગલ પ્રીતને,
કોઇ લેખકને કોઇ હરિને,
કોઇ પદને પ્રતિષ્ઠાને નામી
કોઇ આપતા સંતને સલામી.
થયા પસાર એ બધા ત્યાંથી
અમે જોઇ રહ્યા ગૃહમાંથી,
જ્યારે આગ્રહ અત્યાગ્રહ કીધો
ત્યારે હસ્તને પખાળી લીધો.
અમે એને સલામી દીધી
જેણે જિંદગી બીજાની કીધી;
વેદનાઓ અવરની લીધી;
અમે સંસ્મૃતિ એની કીધી.
વિષપ્યાલીને પ્રેમથી પીધી,
તાપ વેઠીને છાંયડી દીધી;
અમે આરાધના એની કીધી.
પોતે સહવાનું કીધું પસંદ
વાડી અન્યની કરી હરિયાળી.
સૂની પડી અંતરની સિતારી
વારિ વિના કરમાઇ ક્યારી,
અન્યકેરી સિતારી સજાવી
જેણે સીંચી અવરની ક્યારી,
અમે એને કીધી સલામી.
- શ્રી યોગેશ્વરજી

